પંજાબ કિંગ્સ (Punjab Kings) ની ટીમ હજુ સુધી આઈપીએલનો ખિતાબ જીતી શકી નથી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2014 માં જોવા મળ્યું જ્યારે ટીમ ફાઇનલમાં પહોંચી હતી.
ભારતીય ટીમનો બેટ્સમેન મયંક અગ્રવાલ (Mayank Agarwal) આઇપીએલ 2022 માં પંજાબ કિંગ્સ (Punjab Kings) નો કેપ્ટન બની શકે છે. આઈપીએલ 2022 (IPL 2022) ની હરાજી પહેલા તેને આ ફ્રેન્ચાઈઝીએ જાળવી રાખ્યો હતો. મયંક અગ્રવાલની સાથે પંજાબ કિંગ્સે ડાબોડી બોલર અર્શદીપ સિંહને પણ પોતાની સાથે રાખ્યો હતો. મયંક અગ્રવાલને સુકાનીપદ સોંપવા અંગે પંજાબ કિંગ્સ તરફથી ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. તે 2018 થી આ પંજાબનો હિસ્સો છે. જ્યારે કેએલ રાહુલ કેપ્ટન હતો ત્યારે મયંકે કેટલીક મેચોમાં તેની ગેરહાજરીમાં પંજાબની કેપ્ટનશિપ પણ કરી હતી. આમ તેને આ બાબતે અનુભવ પણ છે.
મયંક અગ્રવાલને પંજાબ કિંગ્સ દ્વારા 2018ની મેગા ઓક્શનમાં એક કરોડની રકમમાં સામેલ કરવામાં આવ્યો હતો. કેએલ રાહુલ પછી તે આ ટીમનો સૌથી સફળ બેટ્સમેન હતો. આવી સ્થિતિમાં, IPL 2021 પછી, મયંકને પંજાબ કિંગ્સે 12 કરોડ રૂપિયા આપીને જાળવી રાખ્યો હતો. આઈપીએલના એક સ્ત્રોતને ટાંકીને એક ન્યૂઝ એજન્સીએ અહેવાલમાં લખ્યું છે કે, મયંક આ ટીમની કેપ્ટનશીપ કરે તેવી પૂરી સંભાવના છે. આ સપ્તાહના અંત સુધીમાં જાહેરાત કરવામાં આવશે.
ધવન મયંક જેવો નથી
IPL 2022 ની હરાજીમાં પંજાબ કિંગ્સ સૌથી વધુ પૈસા સાથે ગઈ હતી. તેણે શિખર ધવન, જોની બેરસ્ટો, લિયામ લિવિંગ્સ્ટન, કાગીસો રબાડા, શાહરૂખ ખાન અને હરપ્રીત બ્રારના રૂપમાં ઘણા શાનદાર ખેલાડીઓને પસંદ કર્યા છે. કેપ્ટન તરીકે ધવનનું નામ પણ ચાલી રહ્યું હતું પરંતુ ટીમ મેનેજમેન્ટ મયંકને કેપ્ટન બનાવવા માંગે છે. કહેવાય છે કે હરાજી પહેલા પણ આ પ્લાન હતો.
સુત્રએ જણાવ્યું હતું કે, ધવનની ટીમમાં એન્ટ્રી એક શાનદાર ચાલ છે અને તે હરાજીમાં ટીમના રડાર પર હતો. તે ચેમ્પિયન ખેલાડી છે પરંતુ એવું લાગે છે કે કેએલ રાહુલે ટીમ છોડ્યા બાદ પંજાબ મયંકને કેપ્ટન બનાવવાની તૈયારી કરી રહ્યું હતું.
મયંકે 2011માં IPL ડેબ્યૂ કર્યું હતું
છેલ્લા બે વર્ષમાં મયંક અને રાહુલે આઈપીએલ માં શાનદાર ઓપનિંગ જોડી બનાવી છે. રાહુલ હવે લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ છે અને તેમનો કેપ્ટન છે. મયંકે IPL 2021ની કેટલીક મેચોમાં કેપ્ટનશીપ કરી હતી જ્યારે કેએલ રાહુલ ઘાયલ થયો હતો. તેણે છેલ્લી બે સિઝનમાં 400 થી વધુ રન બનાવ્યા છે. મયંકે 2011માં IPL માં ડેબ્યૂ કર્યું હતું. તે અત્યાર સુધીમાં 100 મેચ રમી ચૂક્યો છે. 31 વર્ષીય મયંકે ભારત માટે 19 ટેસ્ટ અને પાંચ વનડે રમી છે.
પંજાબ કિંગ્સ હજુ સુધી IPL ટાઈટલ જીતી શક્યું નથી. આ વખતે તેઓએ ઘણી મજબૂત ટીમ બનાવી છે. તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2014 માં હતું જ્યારે તે ફાઇનલમાં પહોંચ્યો હતો. છેલ્લી ત્રણ સિઝનમાં પંજાબ કિંગ્સ છઠ્ઠા સ્થાને છે.



