સાબરકાંઠા,
માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા તથા વાહનચાલકોમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ વધારવાના હેતુથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને સાબરકાંઠા જિલ્લા પોલીસની ટ્રાફિક શાખા દ્વારા નેશનલ હાઈવે-48 પર અનોખી માર્ગ સુરક્ષા પહેલ હાથ ધરવામાં આવી છે.
NHAI દ્વારા માર્ગ સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને અકસ્માતપ્રવણ વિસ્તારોમાં જરૂરી સલામતીનાં પગલાં, જાગૃતિ અભિયાનો અને સંબંધિત એજન્સીઓ સાથે સંકલન દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ દિશામાં NHAI અને સાબરકાંઠા પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ પહેલના ભાગરૂપે હિંમતનગર–પ્રાંતિજ હાઈવે પર રસુલપુર નજીકના અકસ્માતપ્રવણ વિસ્તારમાં ગંભીર અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલી કારને પ્રદર્શિત કરવામાં આવી છે. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતના ગંભીર પરિણામોનો પ્રત્યક્ષ અનુભવ કરાવીને તેમને સલામત અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા માટે પ્રેરિત કરવાનો આ પ્રયાસ છે. ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયેલી કારને અકસ્માતપ્રવણ વિસ્તારમાં પ્રદર્શિત કરીને ઓવરસ્પીડિંગ, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ તથા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના ગંભીર પરિણામો અંગે વાહનચાલકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે.
ચિલોડાથી શામળાજી સુધીના NH-48 પર વાહનવ્યવહારનું પ્રમાણ નોંધપાત્ર છે. આવા વ્યસ્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે NHAI દ્વારા સ્થાનિક પોલીસ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. વાહનચાલકો દ્વારા ગતિમર્યાદાનું પાલન, સીટબેલ્ટનો ઉપયોગ, સલામત અંતર જાળવવું અને ડ્રાઇવિંગ દરમિયાન સાવચેતી રાખવી અકસ્માતો ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
NHAI તમામ માર્ગ વપરાશકર્તાઓ માટે સલામત, સુગમ અને કાર્યક્ષમ રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. NHAI દ્વારા માર્ગ સલામતીને માત્ર માળખાકીય સુવિધાઓ પૂરતી મર્યાદિત ન રાખીને વાહનચાલકોમાં જવાબદાર ડ્રાઇવિંગ અને સલામત માર્ગ વ્યવહાર અંગે જાગૃતિ લાવવાના પ્રયાસોને પણ સમાન મહત્વ આપવામાં આવે છે.
NHAI વાહનચાલકોને અપીલ કરે છે કે તેઓ ઓવરસ્પીડિંગ ટાળે, ટ્રાફિક નિયમોનું પાલન કરે, સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરે અને પોતાની તેમજ અન્ય માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે.



