વર્ષ ૨૦૨૫-૨૬ની અગ્નિવીર ભરતી માટે ૧૦ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
(જી.એન.એસ) તા. 29
અમદાવાદ,
આર્મી રિક્રુટિંગ ઓફિસ, અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે લાયક પુરુષ ઉમેદવારો માટે અગ્નિવીર ભરતીના રજિસ્ટ્રેશન અંગે જાહેરાત કરવામાં આવી છે.
લાયક પુરુષ ઉમેદવારો ૧૦ એપ્રિલ, ૨૦૨૫ સુધી સત્તાવાર વેબસાઇટ www.joinindianarmy.nic.in પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે.
અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક, સ્ટોર કીપર ટેકનિકલ, અગ્નિવીર ટ્રેડ્સમેન (૧૦મું પાસ) અને અગ્નિવીર ટ્રેડ્સમેન (૮મું પાસ) શ્રેણીઓ માટે ભરતી હાથ ધરવામાં આવી રહી છે, એમ આર્મી રિક્રુટિંગ ઓફિસ, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયુ છે. રાજ્યના ૨૦ જિલ્લાઓ સહિત બે કેન્દ્રશાસિત પ્રદેશોના લાયક પુરુષ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે, જેમાં અમદાવાદ જિલ્લો પણ સામેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરતી વર્ષ ૨૦૨૫-૨૬ માટે અગ્નિવીરોની ભરતી બે તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે. જેમાં પ્રથમ તબક્કો ઓનલાઇન કમ્પ્યુટર આધારીત લેખિત પરીક્ષા અને બીજો તબક્કો ભરતી રેલી શારીરિક કસોટી, દસ્તાવેજ તપાસ અને તબીબી તપાસ છે. ઓનલાઇન કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેખિત પરીક્ષા જૂન ૨૦૨૫માં યોજવામાં આવનાર છે.



