Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ‘આત્મનિર્ભર ભારત, જન આભાર’ કાર્યક્રમ યોજાયો

વિકાસ સપ્તાહ – શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં – ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના

જીએસટી રિફોર્મ અને સ્વદેશી અભિયાન બદલ ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા ૧ કરોડ થી વધુ પોસ્ટકાર્ડ લખ્યા

(જી.એન.એસ) તા. 7

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તા. ૭થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યમાં ઉજવાનારા વિકાસ સપ્તાહ અન્વયે અમદાવાદમાં યોજાયેલા વિકાસ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળીને વિકાસની રાજનિતિનો નવો અધ્યાય શરૂ કર્યો હતો.

તેમના નેતૃત્વમાં ઓક્ટોબર ૨૦૦૧થી શરૂ થયેલી રાજ્યની વણથંભી વિકાસયાત્રા સુશાસનના ૨૫માં વર્ષમાં પ્રવેશી છે. આપણે વડાપ્રધાનશ્રીની વિઝનરી લિડરશીપમાં હવે આઝાદીની શતાબ્દી અને વિકસિત ભારત ૨૦૪૭ તરફની અવિરત કૂચ જારી રાખવી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જી.એસ.ટી.માં પરિવર્તન કારી સુધારાઓથી દેશના સામાન્ય માનવીને મોટો લાભ કરાવ્યો છે. એટલુ જ નહિ, સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જન જનને વિકાસમાં જોડ્યા છે તેનો આભાર વ્યક્ત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ, સમાજના વિવિધ વર્ગો અને ગુજરાતની સહકારી સંસ્થાઓ, બેંકો, દુધ મંડળીઓ સહિતના સહકારી સંગઠનો વગેરે દ્વારા ૧ કરોડ ૧૧ લાખ ૭૫ હજાર પોસ્ટકાર્ડ ‘આત્મનિર્ભર ભારત, જન આભાર’ અંતર્ગત વડાપ્રધાનશ્રીને લખવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે કહ્યુ કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ માટેના અથાક પ્રયત્નો આપણને નવી દિશા આપતા રહે તે માટે દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિકાસ સપ્તાહ સાથે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષનો પણ સુયોગ થયો છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રીએ આપેલા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીને સાકાર કરવા વિકાસ સપ્તાહ અંતર્ગત આ વર્ષે આપણે સ્વદેશી તથા વોકલ ફોર લોકલને વધુને વધુ પ્રોત્સાહન આપવું છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ “ગ્યાન”ના ચાર મુખ્ય પિલ્લર સહિત સમાજની વ્યાપક સહભાગીદારીથી આ વિકાસ સપ્તાહને આપણે વિકાસની નવી દિશા આપવાની નેમ રાખી છે.

તેમણે કહ્યુ કે, સ્વતંત્રતા મેળવવા માટે પૂજ્ય બાપુ અને સરદાર સાહેબની આગેવાનીમાં સ્વદેશી ચળવળને વેગવાન બનાવવામાં આવી હતી. હવે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં સમૃદ્ધ ભારત માટે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ તરફ આપણે જવુ છે.

આ માટે આપણા દેશના યુવકો અને કારીગરોનો પરસેવો હોય તેવી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપીને તથા સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર વિશેષ ભાર આપીને આપણે આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવીશું તેમ તેમણે ઉમેર્યુ હતુ.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે દેશને આઝાદી અપાવવા માટે ઓછી માળખાગત સુવિધાઓ વચ્ચે મહાત્મા ગાંધીએ સ્વદેશીની ચળવળ શરૂ કરી હતી. ત્યારે આજે વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ગતિ કરી રહેલા ભારતને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશીનો મંત્ર આપ્યો છે. દેશની વ્યાપારી ખાધ ઘટાડીને દેશને આર્થિક સમૃદ્ધિ અપાવવાનો આ રાજમાર્ગ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

વધુમાં, મંત્રીશ્રીએ કહ્યું કે દેશને ગુલામીની માનસિકતામાંથી બહાર લાવવા વડાપ્રધાનશ્રીએ અનેક નવતર પહેલ સૂચવી છે. આજથી ૨૪ વર્ષ પહેલાં શરૂ થયેલી એ વિકાસયાત્રાના ફળ સ્વરૂપ આજે આપણે આ વિકાસ સપ્તાહ ઉજવી રહ્યા છીએ. જેમાં રાજ્યના ખેડૂતો, પશુપાલકો, યુવાનો સૌ કોઈ જોડાયા છે. વડાપ્રધાનશ્રીને ઉદ્દેશીને લખેલો આ દરેક પોસ્ટ કાર્ડને પત્ર નહીં, પણ દિલની વાત છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ત્યારે આજના આ પ્રસંગને મંજિલ નહીં, પરંતુ માત્ર પડાવ ગણીને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે સ્વદેશી અપનાવીને સૌ કોઈને ફાળો આપવા શ્રી પટેલે અપીલ કરી હતી.

આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માએ સૌને વાલ્મીકિ જયંતીની શુભકામનાઓ પાઠવીને જણાવ્યું હતું કે આજથી ૨૪ વર્ષ પહેલાં ૭મી ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌ પ્રથમવાર શપથ લઈ સેવા, સમર્પણ અને જનવિશ્વાસની સાથે સુશાસનની યાત્રા શરૂ કરી હતી.

શ્રી વિશ્વકર્માએ વધુમાં ઉમેર્યું કે આજના ડિજિટલ યુગમાં સમગ્ર ગુજરાતે અને ખાસ કરીને સહકાર ક્ષેત્રના અનેક નાગરિકો-પરિવારોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી GST રિફોર્મ્સ, આત્મનિર્ભર ભારત, સ્વદેશી અભિયાન મુદ્દે આભાર વ્યક્ત કરવાનું આ અનોખું અભિયાન શરૂ કર્યું છે. જેમાં રાજ્યનાં ૧૨ હજાર ગામડાંની ૨૬ હજાર મંડળીના સભાસદો, ૫.૫૦ લાખ જેટલા કૉલેજના યુવાનો અને ૧.૨૫ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પણ પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

તેમણે ઉમેર્યું કે દેશના ૧૪૦ કરોડ ભારતીયો જો સ્વદેશીનું એક ડગલું માંડે તોપણ દેશને વિકસિત રાષ્ટ્ર બનતાં કોઈ રોકી શકે તેમ નથી. ત્યારે આગામી તહેવારોમાં સૌ નાગરિકોને સ્વદેશી ખરીદીને પ્રાધાન્ય આપી, આત્મનિર્ભર ભારતમાં પોતાનું યોગદાન આપવા તેમણે અનુરોધ કર્યો હતો.

સહકાર વિભાગના સચિવશ્રી સંદીપ કુમારે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા.

કાર્યક્રમમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા અંતર્ગત ‘હર ઘર સ્વદેશી’ મુહિમમાં યોગદાન આપવા અને સ્વદેશી અપનાવવા સૌએ શપથ લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દૂધ સંઘો અને ડીસીસીબીને મળેલ પોસ્ટકાર્ડ, અમુલ ફેડ ખાતે મળેલ પોસ્ટકાર્ડ, જીએસસી બેંક ખાતે મળેલ પોસ્ટકાર્ડ અને પ્રેસથી ડિસ્પેચ થયેલ પોસ્ટકાર્ડ મળીને કુલ ૭૫ લાખથી પણ વધુ આભાર પોસ્ટ કાર્ડ રાજ્યના ખેડૂતો અને નાગરિકોએ વડાપ્રધાનશ્રીને લખ્યા છે. આ કાર્યવાહીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં તથા લીમકા બુક ઓફ રેકોર્ડ અને અન્યમાં વિશ્વવિક્રમ તરીકે સમાવવા માટે એપ્લિકેશન કરવામાં આવી છે. આ પ્રસંગે આ મુહિમ આધારિત ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

‘આત્મનિર્ભર ભારત, જન આભાર’ કાર્યક્રમમાં શહેરના મેયર શ્રી પ્રતિભાબહેન જૈન, અમદાવાદના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જીએસસી બેંકના ચેરમેનશ્રી અજય પટેલ, જીસીએમએમએફના ચેરમેન શ્રી અશોક ચૌધરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અને હોદ્દેદારો, ચીફ પોસ્ટ માસ્તર જનરલ શ્રી ગણેશ સાવડેકર, સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન શ્રીઓ તથા ડિરેક્ટરશ્રીઓ, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શ્રીઓ તથા ડિરેક્ટરશ્રીઓ,  સામાજિક અને રાજકીય આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોમાં સંસ્કાર સિંચનના મહાકુંભ – ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ૨૦૨૫નો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો

Gujarat Desk

દાહોદની શંતકૃપા સત્સંગ પરિવાર દ્વારા દાહોદના સિનિયર સિટીઝન ને સુખ સુવિધા મળી રહે તે માટે નિરંતર સેવા આપવામાં આવી રહી છે

Karnavati 24 News

ઉવારસદમાં દિવ્યાંગોનો દિવ્ય આનંદ મેળો – “ઉમળકો” યોજાશે”

Gujarat Desk

“શાહે આલમ સરકાર” ઉરસ વર્ષ : ૫૬૩

Karnavati 24 News

પંજાબને ઉત્પાદન ક્ષેત્રમાં રૂ. ૧,૦૦૩ કરોડનો ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટ પ્રોત્સાહન મળ્યું: ઉર્જા મંત્રી સંજીવ અરોરા

Gujarat Desk

દૈનિક રાશિફળ (09/06/2025)

Gujarat Desk